મન મુજબ તો અહીં જીવાય નહીં / ગૌરાંગ ઠાકર

મન મુજબ તો અહીં જીવાય નહીં,
ને વળી મન બધે રખાય નહી.

કોઇ ને એવું કૈં પૂછાય નહીં,
તમને ચોમાસે કૈં જ થાય નહીં?

જે ગમે તે બધું કરાય નહી,
ઢાળ પર જળનું ઘર ચણાય નહી.

આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?

એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહી.

દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહી

સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.

આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહી.